Sunday, August 7, 2016

આનંદીબહેને આપેલા આંચકા પછી વિરૂ માટે કપરા ચઢાણ શરૂ થયા.....

આજે ગુજરાતને 16માં મુખ્યમંત્રી તરીકે ટીમ વિરૂએ ફાઇનલી ઐતિહાસિક મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શાનદાન સપથ ગ્રહણ સમારોહમાં આનંદીબહેનના ગતિશીલ ગુજરાતને ટોપ ગિયરમાં ચલાવવા માટેના સોંગધ લીધા. આનંદીબહેનના આધાતજનક નિર્ણય બાદ અમિતશાહથી માંડીને નરેન્દ્ર મોદી અને આરએસએસના લીડરો  પણ ડરી  ગયા હતા કે કપરા કાળે જ આનંદીબહેન આંચકો આપ્યો. જો કે મોદીના ચાણક્ય ગણાતા અમિત શાહે ફરીથી પુરવાર કરી દીધુ કે તેમના ચાણક્ય નીતી અને રાજકીય સુજબુજને પહોંચી વળે તેવો કોઇ સક્ષમ નેતા ગુજરાતમાં નથી અને આ કારણસર જ આ વખતે અમિત શાહે નક્કી કરી લીધુ હતુ કે આનંદીબહેનની પસંદગીમાં ભલે નરેન્દ્ર મોદી પાસે રીમોટ કંટ્રોલ હતુ પણ આ હવે તો રીમોટની સ્વીચ પોતાના આંગળીના ઇશારે જ દબાવશે અને એવુુ જ થયુ કે તેમણે વિજય રૂપાણી પર પંસદગીનો કળશ ઢોળ્યો સાથોસાથ 2017ની વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ટીમ વિરૂને પણ આખરી ઓપ આપી દીધો, જેમાં જ્ઞાતિ આધારિત મતોના સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું. જેથી 2017માં ઇલેક્શનમાં થતા નુકશાનને સરભર કરી શકાય. પણ, વિજય રૂપાણી માટે કપરા ચઢાણ છે કે જેમાં તેમાં હજુ પાટીદાર અનામત આંદોલનને સળગતા પ્રશ્નને ઠારવો પડશે નહીતર ભાજપ કંઇક અંશે દાઝી શકે અને ગુજરાતના એકચક્રી શાસનમાંથી પણ હાથ ધોવા પડે તેમ છે.  બીજી તરફ દલિતનો મુદો પણ રૂપાણીના માથાનો દુખાવો બનશે જ જેમાં કોઇ શંકાને સ્થાન નથી.  આમા પણ જો આનંદીબેનન જેવો આંચકો કોઇ બીજા નેતા આપશે તો ફરીથી જોવા જેવી થશે....

Wednesday, August 3, 2016

આનંદીબેને છેલ્લી ઓવરમાં 36 રન કરી દીધા...

તારીખ 3જી ઓગસ્ટ 2016 ગુજરાતના રાજકારણમાં યુ-ટર્ન સાબીત થશે કારણ કે છેલ્લાં સોળ વર્ષથી એક હથ્થુ શાસન કરનાર ભારતીય જનતા પાર્ટીના કપાળ પર પ્રથમવાર ચિંતાની લકીરો જોવા મળી રહી છે અને હવે ગુજરાત ભાજપના હાથમાંથી સરકતુ દેખાઇ રહ્યું છે. આજે સાંજે જ્યારે મુખ્યપ્રધાન (પૂર્વ મુખ્ય પ્રધાન) શ્રીમતી આનંદીબેન પટેલ રાજ્યપાલના હાથમાં પોતાના રાજીનામાનો પત્ર સોંપી રહ્યા હતા ત્યારે તેમનો ચહેરો તેમના મનની વ્યથા સ્પષ્ટપણે કહેતો હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે આનંદીબેને જે પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાનું પદ છોડ્યું છે તેમાં તેમને ભારોભાર અફસોસ પણ થતો હશે કે માત્ર થોડા મહિના સુધી લડત આપી હોત તો વટભેર વિદાય મળે કે ન મળે પણ કંઇક કર્યાનો આનંદ ચોક્કસ હોત. એવુ નથી આનંદીબેને પોતાના બે વર્ષના શાસનકાળમાં સાવ નિષ્ફળ ગયા છે. મારા મંતવ્ય પ્રમાણે તેમણે તેમણે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ વધારે કામ કર્યા પણ, નરેન્દ્ર મોદી થોડા કામમાં વધારે માર્કેટીંગ કરવામાં આઇઆઇએમના સ્નાતક કરતા પણ વધારે હોશીયાર છે  ( જો કે કેન્દ્રમાં ગયા પછી તેમની માર્કેટીંગ સિસ્ટમ વિપક્ષ કે ભારતના લોકોમાં સારી રીતે પચાવવામાં પાછળ પડી રહ્યા છે). જ્યારે આનંદીબેન પટેલ મુળ શિક્ષકનો સ્વભાવ અને તેમને ગોળ ગોળ વાત ફાવે નહી તે સીધી મીટીંગ અને નિર્ણય લઇ લેવાનો જેમાં મોટા ભાગના નિર્ણયો અને જાહેરાતો પ્રજા ઉપયોગી જ હતી. પણ બેનને આનંદમાં આવીને પોતાની સિધ્ધીને ગણાવવામાં રસ ન હોય તેમ પોતાનું કામ કરતા રહ્યા. કદાચ આનંદીબેન રાજકારણમાં જોડાયા ત્યારે કોમન મેન નહોતા અને પણ સીએમ (ચીફ મીનીસ્ટર) બન્યા  પછી અને તેમનામાં કોમન મેન (સીએમ)ના ધણા લક્ષ્ણ આવ્યા. કદાચ તેઓ રેવન્યુ મીનીસ્ટર કે શિક્ષણ મંત્રી હતા ત્યારે આ કોમન મેનની લાગણી નહોતી. ખેર હવે પણ એક વાતને માનવી પડે કે બોસ આનંદીબેન પટેલે છેલ્લી ઓવરમાં ટોલ ટેક્ષ હટાવ્યો, સાતમાં પગાર પંચની જાહેરાત કરી અને કન્યા કેળવળીની સિક્સરો જેવી જાહેરાત કરીને છ બોલમાં પુરા છત્રીસ રન કરીને ચીફ મિનિસ્ટર (સીએમ-કોમન મેન) ને છાજે એવુુ કામ કર્યુુ છે. તે માટે તેમને ચોક્કસથી સલામ કરવાનું મન થાય.
કદાચ આનંદીબેનને ગુજરાતનું સર્વોચ્ચ પદ છોડવાની ચિંતા હશે પણ કેટલા મંત્રીઓ અને ધારાસભ્યો મનમાં મલકાઇ રહ્યા છે અને આ તકનો જાણે છેલ્લા બે વર્ષથી કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. જો કે આ મંત્રીઓને એ પણ ચિંતા છે કે આનંદીબેને સીએમના તાજને બરાબર અણીદાર કાંટાવાળો બનાવી દીધો છે અને હવે જે પહેરશે તેને સીએમના પદનો આનંદ લેવા કરતા ચિંતા કરવાનો વારો વધારે આવશે. કારણ કે આનંદીબેન દલીતકાંડ, પાટીદાર આંદોલન જેવા વ્રજધાત આપે તેવા ગુચવાળાની ભેટ પણ આપતા ગયા છે.